“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012

પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ૨૦૧૨

             ૨૬ જાન્યુઆરી ૧૯પ૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. ૨૬મી જાન્યુઆરીએ ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું.
             તેથી જ ૨૬મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના 'પ્રજાસત્તાક દિવસ’ તરીકે માનભેર ઉજવાય છે. આ મહત્ત્વના દિને બહાદુર બાળકોને દિલ્હીના વડાપ્રધાન 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’થી સન્માનિત કરે છે. આ વીર બહાદુરોને માનભેર હાથી પર બેસાડી રાજપથ માર્ગ પર ફેરવવામાં આવે છે. ઉપરાંત આજના દિને બહાદુર બાળકો સંજય અને ગીતાના નામે પણ બે વીરતા પુરસ્કાર અપાય છે.


              આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અમારી શાળામાં રાખવામાં આવે છે. આ વખતે મુખ્ય મહેમાન તરીકે શાળાને જમીન દાન આપનાર શ્રી સોમાકાકાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તથા ગામમાંથી નવા ચૂંટાયેલા સરપંચ સાહેબ શ્રી, તથા અમારી શાળાના અધ્યક્ષ તથા ગામમાં નવા ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ શ્રી તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
            પ્રસંગને અનુરૂપ પ્રાર્થના,  આવેલ મહેમાનોનું સ્વાગત તથા કેટલાક જનજાગૃત્તિ નાટકો, વક્તવ્યો, અભિનય ગીતો રાખવામાં આવ્યા હતાં. શાળાનું ચોગાન તથા શાળા તૂટેલ હોવા છતાં ગામલોકોમાં કે બાળકોમાં ઉત્સાહ મતો ન હતો. વગર સ્ટેજ અને ચોગાને અમે દેશ માટે કઈંક કરવા ગામલોકોને કાઈક બતાવવા આતુર હતાં.
આ કાર્યક્રમમાં સ્કાઉટના બાળકો દ્વારા ધ્વજ સલામી કાર્યક્રમ તથા અંગ કસરતો અને એક ફિલ્મી ગીત કરવામાં આવ્યું હતું. નાના બાળકો દ્વારા અભિનય ગીતો વાર્તાઓ કરવામાં આવી હતી. આ વર્ષે શાળામાં સૌથી વધુ  વખત ગુલાબ બનનાર દરેક વર્ગના પસંદ કરેલ બાળકની માતાને ખાસ બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

            કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રીનાબેન જે. શાહે કર્યું હતું. તથા ધ્વજવંદન વિધિ શ્રી નિલેશભાઈ એ  કરી હતી. ખાસ વક્તવ્યમાં શાળાના પ્રથમ આ. શી. શ્રી રામસિંહ સાહેબે કર્યું હતું.





બાળકો આજે ખુબ ખુશ હતાં.દેશ માટે કૈક કરવાની તથા એક સારા નાગરિક બનવાની તેમની ભાવના સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks