“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

શુક્રવાર, 7 જાન્યુઆરી, 2011

''પ્રાર્થના ચિઠ્ઠી''

એક બાળકની વેદનાએક શિક્ષક (સાંઈરામ દવે)ની કલમે
પ્રતિ,
શ્રી ભગવાન ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા),
સ્વર્ગ લોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુ- આકાશ.
  પ્રિય મિત્ર ભગવાન,
                            જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દુર આવેલી એક સરકારી શાળાના સાતમાં ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે, અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. હું શું કામ ભણું છુંએની મારા મા-બાપને ખબર નથી. કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા મા-બાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન બે- ચાર સવાલો પૂછવા માટે મે તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધુંતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.
પ્રશ્ન ૧ - હું રોજ  સાંજે  તારા મંદિરે આવું છું અને  નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણ નુ મંદિર છે, અને એ.સી. છે અને મારી એ નિશાળમાં છાપરુંય કેમ નથી...???
પ્રશ્ન ૨ - તને રોજ ૩૨ ભાતના  ભોજન પીરસાય છે ને તું તો ખાતોય નથી અને હું દરરોજ મધ્યાહન ભોજનના મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું...આવું  કેમ...???
પ્રશ્ન ૩- મારી નાની બહેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુંય મારતું નથી અને તારા પચરંગી નવા વાઘા..!! સાચું કહું ભગવાન હું રોજ તને નહિં તારા કપડાં જોવા આવું છું.
પ્રશ્ન ૪ - તારા પ્રસંગે  લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને ૧૫મી ઓગસ્ટે જયારે હું બે મહિનાથી મહેનત કરેલું  દેશભક્તિગીત રજૂ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો..... ને બાળકો ..... હે ઈશ્વર તારા મંદિરે જે  સમાતા નથી બધાય મારા મંદિરે”  કેમ  ડોકાતા નથી?....!!!
પ્રશ્ન ૫ - તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવ-સ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મે સાંભળ્યું  છે કે તુ તો અમારી બનાવેલી મૂર્તિ છે, તોય આવી ઝળહળાટ છે અને અમે તારી બનાવેલી મૂર્તિ છીએ, તોય અમારા ચહેરા પર નુંર કેમ નથી ....?
          શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે. મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે. ભગવાન મારે ખુબજ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફીના કે ટ્યુશનના પૈસા નથી.... તું જો તારી એક દિવસની દાનપેટી મને મોકલે તો હું આખી જીદંગી ભણી શકું..... વિચારીને કેજે .... હુંય જાણું છું તારેય ઘણાને  પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણ ની વાર્ષિક પરિક્ષા પહેલા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટેલે રૂ .૫ ના ભવ્ય પગાર થી નોકરી રાખી દેશે ....  ને પછી આખી  જીદગી હું તારા શ્રીમંત ભક્તો ને ચા પાઈશ ..... પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ ...
            લિ.
   એક સરકારી  શાળાનો ગરીબ વિદ્યાર્થી
                  અથવા
  ભારતના એક ભાવિ મજુરના વંદે માતરમ્.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks